શિણાય ડેમમાં બીજા દિવસે વધુ એક યુવાનની તરતી લાશ દેખાઈ

Swimmer floating on his back.

 

શિણાય ગામના ડેમમાં ગત દિવસે અક્ષિતા અને ગૌતમ માલી નામના કૌટુંબિક ભાઇ-બહેનના ડૂબી જવાથી મોત થયાં બાદ અંતરજાળના વધુ એક યુવાનની લાશ તરતી મળી આવેલ હતી. જો કે, આ બાબતે પોલીસ મથકે કોઇ પણ પ્રકારની નોંધ થઇ ન હતી. દરમ્યાન આ ડેમમાં પાણીમાં કોઇએ ન નાહવું તેવા પાટિયા ગ્રામ પંચાયતે લગાવેલા હતા.  તાલુકાના સૌથી મોટા શિણાય ડેમ પાસે અન્ય મિત્રો સાથે ફરવા ગયેલા અક્ષિતા અને ગૌતમ નામના કૌટુંબિક ભાઇ – બહેનના અકસ્માતે પાણીમાં ડૂબી જતાં મોતના બનાવથી ભારે ગમગીની પ્રસરી હતી તેવામાં આજે સવારે આ ડેમની વચ્ચોવચ્ચ એક તરતી લાશ દેખાઇ હતી, જે વાયરાની જેમ લોકોમાં પ્રસરી જતાં સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તરવૈયાની મદદથી આ યુવાનની લાશને બહાર લાવવામા આવી હતી. આ યુવાન અંતરજાળનો હોવાનું લોકો દ્વારા જાણવા મળ્યું હતું. આ બાબતે આદિપુર પોલીસ મથકનો સંપર્ક કરતાં અપમૃત્યુના આ બનાવ અંગે કોઇ નોંધ ન હોવાનું સામે આવ્યું હતું. બે દિવસમાં આ ડેમમાં ત્રણ લોકોનાં મોત થતાં પંચાયતે અહીં પાટિયા લગાવ્યા હતા જેમાં આ ડેમમાં કોઇએ નાહવું નહીં. ડેમની ઊંડાઇ બહુ જ ભયજનક છે જેથી જાનહાનિનો ખતરો છે, જેથી આ પાણીમાં નાહવા જનાર વ્યક્તિ વિરુદ્ધ પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. થોડા સમય અગાઉ નર્મદા કેનાલ બનતી હતી તે સમયે આ ડેમમાંથી માટી કાઢી તેમાં 15 ફૂટથી વધારે અનેક જગ્યાએ ખાડા કરવામાં આવેલ છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા  ત્યારે કોઇ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી તેમજ હાલમાં પણ આવા બનાવો બને છે ત્યારે ડેમને ફરતે ફેન્સિંગ ઊભી કરવા અમૂક સ્થાનિક લોકોમાં માંગ ઊઠી છે.