અંજાર તાલુકાનાં વરસાણા પાસે ઉછીને રૂ. 3 હજાર ન મળતા વરસાણા નજીક પથ્થરોના ધા ઝીંકી યુવકની હત્યા કરાઇ.

અંજાર તાલુકાનાં વરસાણા પાસે આવેલા એક લાકડાના બેન્સા પાછળ ખેતરમાં ઉછીના આપેલા રૂ 3,000 પાછા ન કરતાં ઇન્દ્રામણિ સોલા ગૌડા(ઉ.વ.30) નામના યુવાનને પથ્થર ઝીંકી બે ઇસમોએ તેની હત્યા કરી હતી. આ ઘટનામાં ગણતરીના ક્લાકોમાં પોલીસે બે શખ્સોની અટક કરી લીધી હતી. વરસાણા પાસે આવેલા ચૌધરી ટીમ્બર નામના લાકડાના બેન્સા પાછળ હત્યાની આ ઘટના બની હતી. આ બેન્સામાં આવેલી ઓરડીમાં રહેતા અને આઠેક માસથી અહી આવેલા ઇન્દ્રામણિ નામના યુવાનને આ જ બેન્સામાં કામ કરતાં ગોવિંદ કંગુરુ ગૌડા નામના ઇસમે રૂ.3,000 ઉછીના આપ્યા હતા. બાદમાં આ ઈસમ ગોવિંદ પોતાના વતન ચાલ્યો ગયો હતો. અને હાલમાં અઠવાડિયા અગાઉ જ તે અહીં પાછો આવ્યો હતો. દરમ્યાન ગત સાંજના અરસામાં ઇન્દ્રામણિ, ગોવિંદ, સુશાંત, કાંધિયા બહેરા, કાલિયા વગેરે પાંચેક ઇસમો બેન્સા પાછળ ખેતરમાં બેઠા હતા તેવામાં આ ગોવિંદે પોતે આપેલા ઉછીના પૈસાની માગણી કરી હતી, જેમાં બોલાચાલી બાદ ગોવિંદ અને સુશાંતે ઇન્દ્રામણિ ઉપર પથ્થર વડે હુમલો કરતાં આ યુવાનની ખોપડી ફાટી ગઈ હતી અને તેનું મૃત્યુ નીપજયું હતું. આ ઘટના જાહેર થયા બાદ બેન્સામાંથી કોણ બહાર જાય છે તે માટે સી.સી.ટી.વી.કેમેરાની તપાસ કરી હતી અને પૂછપરછ હાથ ધરતા ગોવિંદ અને સુશાંત ભાંગી પડ્યા હતા અને પોતે જ યુવાનને પતાવી દીધો હોવાની કેફિયત આપી હતી. પોલીસે લોહીવાળા કપડાં, પથ્થર વગેરે જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું પી.આઈ.આર.સેલ.રાઠોડે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *