ભુજ : તાલુકાના નાગોર ગામની સીમમાં આવેલી વાડીઓમાં તસ્કરોએ સામૂહિક આક્રમણ કરી જતા ખેડૂતો ચિંતિત બની ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર તેમજ નાગોરના ભરતભાઈ મનજીભાઈ સોરઠિયાની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તસ્કરીનો બનાવ ગત તા. ૧૭-૩-૧૯ના રાત્રીના આઠથી ૧૮-૩-૧૯ના સાંજના ચાર વાગ્યા દરમ્યાન બનવા પામ્યો હતો. કોઈ ચાર ઇસમોએ તેઓ તથા અન્ય સાત વાડી માલિકોની વાડીઓને નિશાન બનાવી હતી. ચાર ઇસમોએ વાડીઓમાંથી લુબી કંપનીની ર૦ એચ.પી.ની પાણીની મોટરો નંગ ર કિંમત રૂ. ૬૦,000 તથા પ૦૦ ફુટ એલ્યુમિનિયમનો વાયર કિંમત રૂ. ૧ર,000, પપ૦ મીટર વાયર કિંમત રૂ. ૧૪,પ૦૦ મળી કુલ્લ રૂ. ૮૬,પ૦૦ની તસ્કરી કરી જતા શહેર બી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી હેડ કોન્સ. નરેન્દ્રભાઈ ધરડાએ કાર્યવાહી હાથ ધરી હતી. વાડીઓમાં થતી અવારનવાર કેબલ તસ્કરીના કારણે ખેડૂતોનો પાક બળી જતો હોય છે ત્યારે આવા કેબલ ચોરોને પકડી પાડવા પોલીસ સક્રિય બને અને તસ્કરોને ઝડપી પાડે તેવી માંગ વાડી માલિકોમાં ઉઠવા પામી છે.