અમદાવાદ નવરંગપુરામાં સીજી રસ્તા પર સ્વસ્તિક ચાર રસ્તા નજીક આવેલા અમર કોમ્પ્લેક્સમાં ઇશ્વરલાલ હરજીવનદાસ જ્વેલર્સનો સેલ્સમેન રિપેરિંગમાં આપેલા તથા પોતાની માસીને દાગીના બતાવવા અને અન્ય શોરૂમમાં બતાવવા લઈ જવાના બહાને 1551 ગ્રામ વજનના સોનાના દાગીના (રૂ.54.28 લાખ) લઈને ભાગી જતાં શોરૂમના મેનેજરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. ફરિયાદ મુજબ, મહેમદાવાદમાં રહેતા મયંક સોની 2015થી ઇશ્વરલાલ હરજીવનદાસ જ્વેલર્સ પ્રા. લિ.ની મણિનગર બ્રાંચમાં સેલ્સમેન તરીકે નોકરીએ લાગ્યો હતો. મયંક સોનાના દાગીના રિપેરિંગમાં આપવાનું અને ત્યાંથી લઈ આવવાનું તેમ જ વેપારીઓને ત્યાંથી દાગીના લઈ આવવાનું અને આપવા જવાનું કામ કરતો હતો. 27 ફેબ્રુઆરીએ મયંકે ઓફિસમાં 1થી 3 માર્ચની 3 દિવસની એડવાન્સ રજા મૂકી હતી. અને પોતાની માસીને દાગીના બતાવવા માટે લઇ જવાની મંજુરી મુખ્ય ઓફીસેથી લધી હતી. તે પહેલાં તે ગુરુકુલના જ્વેલર્સને બતાવવા માટેતેમ જ એમ. જે. સોની જ્વેલર્સમાંથી ખરીદેલા દાગીના મળીને કુલ રૂ. 54.28 લાખના દાગીના લઈ ગયો હતો. જોકે મયંકે તે દાગીના ઇશ્વરલાલ હરજીવનદાસ જ્વેલર્સમાં જમા કરાવ્યા ન હતા. જ્યારે હિસાબ ચેક કરતા તેમાં દાગીના ઓછા હતા. આ વિશે કારીગરોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, મયંક સોનીએ દાગીના જમા કરાવ્યા જ ન હતા. ઇશ્વરલાલ હરજીવનદાસ જવેલર્સના મેનેજર સિદ્ધાર્થ ભટ્ટની ફરિયાદને આધારે પોલીસે મયંક વિરુદ્ધ વિશ્વાસઘાત અને ઠગાઇનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.