મુજમહુડા વિસ્તારની એક સોસાયટીના મંદિરની તથા લક્ષ્મીપુરા રોડ હાઇટેન્શનના ટાવરની સામે આવેલા મંદિરોમાંથી દાનપેટીની રોકડ રકમની તસ્કરી કરનાર ઈસમને પોલીસે પકડી પાડયો છે. આ અંગેની વિગત એવી છે કે, નવાયાર્ડ આશાપુરી સરકારી અનાજના ગોડાઉન નજીક ભંગારની ટ્રકમાં બેસીને તસ્કરીના રૂપિયાની ગણતરી કરતા ઈસમ શાનેઆઝમ ઉર્ફે પીચકો સમસુલભાઇ પઠાણ (રહે. રોશનનગર નવાયાર્ડ)ને એસ.ઓ.જી. પોલીસે પકડી પાડયો હતો. પોલીસે હાથ ધરેલી પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે ઈસમ શાનેઆઝમે વીસ દિવસ પૂર્વે મુજમહુડા, શિવાજી સર્કલ નજીકની એક સોસાયટીના મંદિરની દાનપેટીમાંથી ૪૩૦ રૂપિયાની તેમજ લક્ષ્મીપુરા રસ્તા પરના એક મંદિરમાંથી મૂર્તિ પરના ઝુમ્મરની તસ્કરી કરી હતી. આ રૂપિયા તેમજ ઝુમ્મર ઇસમો વસીમ શાકીર ઉર્ફે બબુ પઠાણ (રહે. કુમાર ચાલી નવાયાર્ડ) તથા રાશીદ ઉર્ફે બાદશાહ તાહેરભાઇ પઠાણ (રહે.સાંઇનાથ નગર, ગોરવા)એ મારીને છીનવી લીધા હતા. પોલીસે શાનેઆઝમ અને રાશીદની શકમંદ હાલતમાં ધરપકડ કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.