ગાંધીધામમાં દબાણ દુર કરી ખાલી કરાવેલ પાર્કિંગ પ્લોટ ડેવલપ કરવામાં આવશે


ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં માન. કમિશનર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ શહેરની મુખ્ય બજારના આર્કેટના તથા બજારની પાછળની ભાગના પાર્કિંગ વાળી જગ્યાના દબાણો દુર કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય બજારના નોર્થ-સાઉથ વિસ્તારમાં બે મોટા પાર્કિંગ પ્લોટના દબાણો દુર કરી પાર્કિંગ પ્લોટ ખાલી કરાવવામાં આવેલ છે. જે ખાલી કરાવેલ પ્લોટ પર મહાનગરપાલિકા દવારા પાર્કિંગ પ્લોટ ડેવલપ કરવા માટે મહાનગરપાલિકાના કમિશનરશ્રી મનીષ ગુરવાની, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી મેહુલ દેસાઈ તથા મહાનગરપાલિકાના એન્જીનીયર શાખા, દબાણ શાખાના કર્મચારીઓ સાથે સ્થાનિકે વિઝીટ કરી સાઉથ વિસ્તારના પાર્કિંગ પ્લોટ ડેવલપ કરવા જરૂરી પ્લાન તૈયાર કરેલ છે. જે પ્લાનની ડીઝાઇન મુજબ આ પાર્કિંગ પ્લોટમાં અંદાજે ૧૩૦ થી ૧૪૦ જેટલા ટુ-વ્હીલરો તથા ૪૫ થી ૫૫ જેટલા ફોર-વ્હીલર વાહનો પાર્કિંગ થઈ શકે તેમ છે. જે પાર્કિંગ પ્લોટ ડેવલપ કરવાની કામગીરી શરુ કરવામાં આવેલ છે અને સાથે સાથે આ વિસ્તાર તથા આજુબાજુ વિસ્તારના વેપારીઓ અને નાગરીકોને શૌચાલયની સુવિધા મળી રહે તે માટે શુલભ-શૌચાલય પાસેથી જરુરી નકશા-અંદાજ તૈયાર કરી શૌચાલયની વ્યવસ્થા પણ તાત્કાલિક ઉભી કરવામાં આવશે.
તે ઉપરાંત નોર્થ વિસ્તારમાં ખુલ્લા કરાયેલ પાર્કિંગ પ્લોટની ડીઝાઇન તૈયાર કરવામાં આવી રહેલ છે. જે કામગીરી ટુંક સમયમાં શરુ કરવામાં આવશે.
આમ, ઉપરોકત સુવિધાઓ ડેવલપ કરવાથી વેપારીઓ તથા મુખ્ય બજારમાં આવતા નગરજનોને પાર્કિંગની પુરતી વ્યવસ્થા મળી રહેશે. જેને લીધે ટ્રાફીકના પ્રશ્નો પણ હલ થશે તેવુ મહાનગરપાલિકાના કમિશનરશ્રીની અખબાર યાદીમાં જણાવવામાં આવે છે.