કાલોલના બાકરોલ ગામના ત્રણ મકાનોમાં કોઇ અજાણ્યા તસ્કરોએ તસ્કરી કરી ફરાર થઇ જતાં ચોમાસા પૂર્વે તસ્કરીના ડાકલા ગુંજી ઉઠયા હતા. પ્રાપ્ત વિગત અનુસાર કાલોલ તાલુકાના બાકરોલ ગામના નિશાળવાળા ફળીયામાં રહેતા ત્રણ મકાનોમાં તસ્કરી થયાની લોકબુમ ઉઠવા પામી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર નિશાળવાળા ફળીયામાં રહેતા વિધવા એવા મંજુલાબેન પ્રભાતસિંહ ગોહિલના ધાબાના મકાનમાં રાત્રિના અરસામાં તેમની એક પરિણીત જે સાસરીમાંથી પિયર આવી હતી અને બે અપરણીત એમ ત્રણેય દીકરીઓ સાથે સાંજના અરસામાં જમી પરવારીને ઉનાળાને કારણે બહાર ફળીયામાં સુતા હતા. તેથી રાત્રિના અરસામાં કોઇ અજાણ્યા તસ્કરોએ ઘરની પાછળના બારણાની સ્ટોપર તોડીને અંદર ઘુસી ઘરની તીજોરી તોડીને ત્રણેય દીકરીઓ માટે કરાવેલી અને તિજોરીમાં રાખેલા દાગીના સાથે રૂ. ૨,૦૦૦ રોકડાનો મુદ્દામાલ તસ્કરી થયો હતો. તદઉપરાંતએ રમણસિંહ પ્રતાપસિંહ ગોહીલના મકાનમાં ઘુસીને રૂ.૨૬,૦૦૦ જેટલી રોકડ રકમની પણ તસ્કરી થઇ હતી. વધુમાં આગળ પર્વતસિંહ સામતસિંહ ગોહીલના મકાનમાં ઘુસીને પેટી અને માલસામાન વેરવિખેર હતો. પરંતુ તેમના કોઇ ઘરેણાં કે રોકડ ન હતી. એ રાત્રિના અરસામાં થોડે દૂર રહેતા નરેન્દ્રસિંહ દીપસિંહ ગોહીલના મકાનમાં પણ અવાજ આવતા ઘરના લોકો જાગી જતાં ઘરમાંથી ચોરો ભાગીને ફરાર થઇ ગયા હતા. જેથી બુમાબુમ કરતાં ફળીયાના લોકો જાગી જતાં આ ત્રણેય મકાનમાં તસ્કરી થઇને ઘર સાફ કર્યાની જાણ થઇ હતી. ચોરીનો ભોગ બનનાર વિધવાબેન અને રમણસિંહ ગોહિલે કાલોલ પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.