ભચાઉના લોધેશ્વર નજીક નર્મદા કેનાલમાં શ્રમજીવી પરિવારના બે કિશોરનાં ડૂબી જતાં મોત


ભચાઉ-દુધઈ રોડ પર લોધેશ્વર નજીક નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશન પાસે ડૂબી જતાં બે કિશોરોના મોત નીપજ્યાં છે. આજે સવારે 11 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો.મૃતક સદાન ફિરોઝ શેખ (ઉ.વ.15) અને રવિ રમેશભાઈ વાલ્મિકી (ઉ.વ.12) બેઉ જણાં કેનાલમાં ન્હાવા પડ્યા હતા. દરમિયાન એકાએક પાણીમાં ગરકાવ થઈ જતાં આસપાસના લોકોએ તેમની શોધખોળ હાથ ધરી હતી કચ્છ બ્રાન્ચ કેનાલના મદદનીશ ઈજનેર ઉમેશ પટેલે જણાવ્યું કે પમ્પિંગ સ્ટેશનથી અંદાજે પાંચસો-સાતસો મીટર દૂર આ બનાવ બન્યો હતો. કેનાલમાં અંદાજે દોઢથી બે મીટર પાણી ભરેલું હતું. એકાદ વાગ્યાના અરસામાં આ ઘટના અંગે જાણ થતાં કેનાલના ગેટ બંધ કરી દઈ પાણીનો પ્રવાહ ઓછો કરી દેવાયો હતો. બાદમાં બેઉ બાળકોના મૃતદેહ મળી આવ્યાં હતા. બંને બાળકો નજીકમાં રહેતા શ્રમજીવી પરિવારના હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભચાઉ સરકારી હોસ્પિટલે મોકલી અપાયાં છે.

