એક વર્ષમાં ફક્ત ચાર જ ગેસ સિલિન્ડર મળશે
copy image

ઉજ્જવલા યોજનાનાં લાભાર્થીઓને વર્ષમાં સબસિડીવાળા 9 સિલિન્ડરનાં બદલે હવે ફક્ત 4 જ બાટલા મળશે. મળતી માહિતી મુજબ પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાનનાં ઘર્ષણનાં કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભડકે બળતા એલપીજીનાં ભાવને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે. ઉજ્જવલા યોજનામાં લાભાર્થીને પ્રત્યેક બાટલે 300 રૂપિયાની સબસિડી મળતી હતી. એટલે કે દિલ્હીમાં 14.2 કિલોનો ઘરેલું રાંધણગેસનો બાટલો 942નાં સ્થાને 642 રૂપિયામાં મળતો હતો. આરંભે આમાં 12 બાટલાની સબસિડી મળતી હતી પણ ગત વર્ષે તેની સંખ્યા ઘટાડીને 9 કરી નાખવામાં આવી હતી. જેને હવે માત્ર 4 કરવામાં આવી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી પ્રવીણ ખનૂજાએ જણાવ્યું હતું કે, ઘટાડવામાં આવેલી આ સીમા ઉજ્જવલા લાભાર્થીઓની સરેરાશ વાર્ષિક ખપતને અનુરૂપ છે. તેમના કહેવા મુજબ સરકારની લગભગ 1600 રૂપિયા પ્રતિ સિલિન્ડરની પડતરની તુલનામાં લાભાર્થીને આશરે 1000 રૂપિયાની મદદ મળે છે. ઉલ્લેખનીય છે કે, 7મી જૂને રાંધણગેસનાં બાટલાનાં ભાવમાં 29 રૂપિયાનોવધારો કરવામાં આવ્યો હતો અને તેનાં વિશે તેમણે એવું કહ્યું હતું કે, આ વધારો દિવસનાં 1 રૂપિયા સમાન છે. જો પરિવારમાં પાંચ લોકો હોય તો પ્રતિ દિન વ્યક્તિદીઠ માત્ર 20 પૈસાનો ભાવ વધારો થયો છે.