ભચાઉ નગર પાલિકાની આજે બજેટ માટેની મળેલી સામાન્યસભામાં રૂ.૧પ૧ કરોડનું વિવિધ વિકાસ કામો સાથેનું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. બજેટ અંગે પાલિકા પ્રમુખ કુલદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડિલો, બાળકો, મહિલાઓ, સામાન્ય શહેરીજનો, પાલિકાના કર્મચારીઓ વગેરે તમામ વર્ગોને ધ્યાને રાખીને જોગવાઈ કરાઈ છે. અત્યાર સુધીના પાલિકાના સૌથી મોટા બજેટનું કદ ફક્ત રૂ.૧૭ કરોડનું થતું હતું. આજે ૧પ૧ કરોડનું આ બજેટ ઐતિહાસિક બની રહેશે. બજેટમાં આવક-જાવક બાદ રૂ.૩ કરોડની પુરાંત રહે છે.શહેરમાં ૭ નવા સાંસ્કૃતિક હોલ બનાવવા, ટાઉન હોલના રિનોવેશન માટે રૂ.ર.૭પ કરોડ તથા શહેરમાં બાકી રોડ-રસ્તાના કામો પુરા કરવા રૂ.૭ કરોડની જોગવાઈ કરાઈ છે. ઘન કચરા ના નિકાલ માટે પણ રૂપિયા ત્રણ કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવેલ છે. શહેરમાં વધુ ૬૪ સીસીટીવી કેમેરા લગાવવા તેમજ ભવાનીપુર, નવી ભચાઉ, સરસ્વતી સોસાયટીના મધ્યમાં એક નવી પોલીસ ચોકી બનાવવાનું કામ પણ નક્કી કરી બજેટમાં જોગવાઈ કરાઈ છે.શહેરીજનોના આરોગ્ય માટે તમામ વોર્ડમાં ડાયાબિટીસ , બ્લડ પ્રેશર તથા શારીરિક ફિટનેસ ચેક અપ માટેના ફ્રી કેમ્પો યોજવામાં આવશે. ભચાઉ શહેર મધ્યે ૨૫૦૦ લોકો સ્ટેડિયમમાં બેસીને રમત નિહાળી શકે તે પ્રકારનુ ક્રિકેટ સ્ટેડિયમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવશે. ભચાઉ શહેરમાં તમામ સમાજના સ્મશાન ઘરોને પણ આધુનિક બનાવી ખુટતી સુવિધા પુરી કરાશે. પૌરાણિક મંદિર કંથડનાથજી દાદા મંદિર પાસે પણ બગીચો, ૪૧ ફુટ ની ભગવાન શિવજીની મૂત તથા આખું ગામ ત્યાંથી દેખાય તે પ્રકારનું રેસ્ટોરન્ટ બનાવાશે. શહેરમાં ઈ-લાઇબ્રેરી, ૧૦ થી પણ વધુ બાગ-બગીચાઓ, ફરવા માટેના નયનરમ્ય સ્થળો મામાદેવ તળાવ ડેવલોપ કરી ત્યાં વોક વે, કેફે એરિયા તથા બોટિંગ, પવિત્ર કરગરીયા તળાવને પણ ડેવલોપ કરી ત્યાં બાજુમાં આવેલા શ્યામજી કૃષ્ણ વર્મા પાર્કને હસ્તગત કરી ફરવા લાયક સ્થળ બનાવાશે.ભચાઉ શહેર કચ્છનું પ્રવેશદ્વાર હોય ત્યારે સમસ્ત ગુજરાતનો સૌથી મોટો પ્રવેશદ્વાર ગેટવે ઓફ કચ્છ તથા ભચાઉ દૂધઈ હાઈવે રેલ્વેસ્ટેશન સુધી ડેવલોપ કરવા માટે પણ રૂપિયા ત્રણ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. શહેરના તમામ વોર્ડમાં ઓક્સિજન બેંક સ્વરૂપે તથા શહેરના આસપાસના વિસ્તારોમાં કુલ ૧ લાખ જેટલા વૃક્ષો વાવી અને ઉછેર કરવા માટેની પણ જોગવાઈ કરાઈ છે. ૩૦ વર્ષ પછીની ભચાઉની વસતીને ધ્યાને રાખી રૂ.૩૦ કરોડની પાણીની યોજના તૈયાર કરવાનું આયોજન કરાયું છે. રૂ.૧૬ કરોડના ખર્ચે શહેરમા જ્યા ડ્રેનેજ વ્યવસ્થા નથી ત્યાં ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૧૫૦થી પણ વધુ પરિવારોને રૂપિયા ૪૦ કરોડના ખર્ચે આવાસો બનાવી દેવાની જોગવાઈ રાખવામાં આવેલ છે. ઐતિહાસિક પ્રેરણાદાયી મહાપુરુષોની પ્રતિમાઓ મુકી અલગ-અલગ સ્થળોએ ટ્રાફિક આઇલેન્ડ તરીકે વિકસાવવાનું કામ નક્કી કરવામાં આવેલ છે.