કચ્છના વિવિધ ગામોમાંથી વીજલાઈન પસાર કરવામાં આવી રહી છે જો કે તેના વળતર બાબતે ખેડૂતોમાં નારાજગી સાથે રોષ જોવા મળે છે. પાવરપટ્ટીના ગામોમાંથી પણ આલ્ફાનાર પ્રા.લી.કંપની દ્વારા વીજલાઈન પસાર કરવામાં આવી રહી છે જો કે, આ કંપની દ્વારા ખેડૂતોને પુરતો વળતર અપાતો નથી અને તંત્ર તેમજ પોલીસની સતાનો દુરૂપયોગ કરીને હેરાન કરવામાં આવે છે.આ અંગે આજે નિરોણા, વંગ, બીબર અને આજુબાજુના ગામોના ખેડૂતોએ રજુઆત કરી જણાવ્યુ હતુ કે, તેમના ગામમાંથી વીજલાઈન પસાર કરવામાં આવે છે. તેઓ સરકારના વીજ પુરવઠાના પ્રોજેકટને સહકાર પણ આપે છે પરંતુ કંપની દ્વારા પુરતો વળતર અપાતો નથી જે બાબત યોગ્ય નથી. અગાઉની કંપનીની માફક જ વળતર મળે તેવી ખેડૂતોની માંગ છે. આ અંગે સંબંધિતો સમક્ષ ખેડૂતોએ રજુઆતો કરી હતી જેમાં પણ યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી હતી તેમ છતા કંપની દ્વારા દાદ આપવામાં આવતી નથી અને કામમાં અડચણ કરશો તો પોલીસ કેસ કરવા અને પાસામાં ધકેલવાની ધમકી આપવામાં આવે છે.ધરતીપુત્રોએ જણાવ્યુ હતુ કે, સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ ખેડૂતોની પરમીશન વગર કોઈ પણ વીજ કંપની વીજલાઈનનો કામ ખેડૂતોની માલિકીની જમીનમાં કરી શકે નહિં તેમ છતા કંપની પોતાની મનમાની ચલાવે છે. ત્યારે, જો યોગ્ય વળતર આપવામાં નહિં આવે તો કોર્ટના દ્વાર ખખડાવાશે અને ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી આપવામાં આવી છે.