રાજયના હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેની સીધી અસર કચ્છના વાતાવરણમાં થતા ખેડૂતોમાં ઉચાટ જોવા મળે છે.આજે બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનો માહોલ સર્જાયો હતો. છેલ્લા બે દિવસથી સવારે અને સાંજે તેમજ રાત્રે ઠંડા પવન સાથે ઠંડકભર્યુ વાતાવરણ પ્રસરે છે. દરમિયાન બપોરના ભાગમાં ગરમી અનુભવાય છે. તેવામાં વાતાવરણ પલટાતા વાગડ વિસ્તારના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. વાગડમાં ખેડૂતો દ્વારા કરોડો રૂપિયાનો જીરાનું વાવેતર કરવામાં આવ્યુ છે. અત્યારે ૯૦ ટકા જીરાનું પાક તૈયાર થઈ ગયુ છે.વાદળછાયા વાતાવરણ વચ્ચે જો માવઠુ વરસી પડે તો ખેડૂતોના ખર્ચા માથે પડે તેમ છે. આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યુ હતુ કે, મિશ્ર ઋતુના કારણે જીરામાં કાળીયાનો રોગ જોવા મળ્યો છે. આ રોગને નિયંત્રિત કરવા માટે મોંઘાભાવની દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. એરંડા, કપાસમાં જીવાત જોવા મળે છે. ઘઉં, વરિયાળી, ઈસબગુલનો પાક તૈયાર થઈ ગયો છે. હજારો એકરમાં જીરાનુ વાવેતર કરાયા બાદ હવે માવઠાની આફત ઉભી છે તો બીજી તરફકોરોના વાયરસના લીધે જીરાની બજારમાં મંદીનો માહોલ છે. આમ, વાગડના ખેડૂતો મહામુંઝવણમાં મુકાયા છે.