ગાંધીધામ નગરપાલિકા દ્વારા મોડે મોડે જાગીને વેરા વસુલાતની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. માર્ચ એન્ડીંગના પગલે શરૂ થયેલી આ કવાયતમાં રોજે રોજ જુદી જુદી ટીમ દ્વારા વેરા વસુલવા માટે બાકીદારોને ત્યાં પઠાણી ઉઘરાણી કરી રહી છે. ઢોલ વાળાને સાથે લઇને ઢોલ પીટી વસુલાતનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. આજે યસ બેંકમાં પણ પાલિકાની ટીમએ વસુલાત માટે કાર્યવાહી હાથ ધરી હતી. આજના દિવસે જુદા જુદા વિસ્તારમાં ટીમો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પછી 21.94 લાખની વસુલાત થઇ છે અને અગાઉ 10 ના વોરન્ટ જારી કરવામાં આવ્યા પછી આજે વધુ 5 ના જેમની રકમ અંદાજે 12.63 લાખ છે તેમના વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે.નગરપાલિકા દ્વારા વેરા વસુલાતમાં નબળાઇ ફરી એકવખત છતી થઇ ગયા પછી હવે રાત થોડીને વેશ ઝાઝા ભજવવાના હેતુથી આળસ મરડીને વેરા વસુલાત માટે સક્રીયતા દાખવવામાં આવી રહી છે. 3 ટીમ દ્વારા ગાંધીધામ – આદિપુરમાં સવારથી જ મોટા બાકીદારોને ત્યાં ઉઘરાણી કરવામાં આવી રહી છે. બાકીદારોને ત્યાં ઢોલ પણ પીટવામાં આવી રહ્યો છે. દરમ્યાન અગાઉ 10 ના વોરન્ટ ઇસ્યુ કર્યા પછી આજે બીજા 5 વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. આજના દિવસે 21.94 લાખની વસુલાત પાલિકાની તીજોરીમાં આવી છે જે અત્યાર સુધી આ ણાંકીય વર્ષમાં વધુને વધુ વસુલાત માનવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં પ્રકાશ જુરાણી, અનીલ જોષી, આનંદ ઉદવાણી, ગાયત્રીપ્રસાદ જોષી, તરૂણ બાપટ, દીલીપ ખેસવાણી, નટુભાઇ પ્રજાપતિ, મહાવીરસિંહ જાડેજા, મનોજ પવાણી વગેરે ચીફ ઓફીસરની સુચનાના પગલે જે તે વિસ્તારોમાં જઇને જોડાયા હતા.નગરપાલિકા દ્વારા જાહેરમાં થૂંકવા બદલ દંડ કરવાનું ખાતુ ખોલવામાં આવ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાના પગલે અગમચેતીના ભાગરૂપે પગલાં ભરવા જણાવાયું છે તેમાં જાહેરમાં થૂંકવા બદલ પણ દંડની જોગવાઇ રૂા. 500 ની કરવામાં આવી છે. જો કે આ જાહેરાત પહેલા ગઇકાલે એક વિસ્તારમાં નાગરિકને જાહેરમાં થૂંકવા બદલ 500 રૂપિયાનો ચાંદલો કરવાની નોબત આવી હતી.