કચ્છમાં SARIથી પીડાતાં કોરોનાના 6 શંકાસ્પદ દર્દીઓ નોંધાયાં: આજે વધુ 31 સેમ્પલ લેવાયાં

132657l

કચ્છમાં SARIથી પીડાતાં કોરોનાના 6 શંકાસ્પદ દર્દીઓ નોંધાયાં: આજે વધુ 31 સેમ્પલ લેવાયાં તમામને શ્વસનતંત્રમાં ગંભીર ઈન્ફેક્શન ભુજઃ કચ્છ અને કોરોના વચ્ચે સેફ ડિસ્ટન્સ જળવાયેલું રહ્યું છે. અત્યારસુધી માત્ર ચાર જ કેસ પોઝીટીવ નોંધાયાં છે. જે પૈકી એક દર્દીનું મોત નીપજી ચૂક્યું છે. દરમિયાન, આજે 6 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયાં છે. આ તમામ દર્દીઓ SARI (Severe Acute Respiratory Infection)થી પીડાતાં હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે. તમામને શ્વસનતંત્રમાં ગંભીર ઈન્ફેક્શન છે. 6 શંકાસ્પદ દર્દીઓમાં અબડાસાના સાંઘીપૂરમના 28 વર્ષિય યુવક, માધાપરના 50 વર્ષિય પુરુષ, ગાંધીધામના ખારીરોહરના 45 વર્ષિય યુવક, મુંદરાના ભુજપુરના 10 વર્ષિય બાળક, અંજારના દબડાની 45 વર્ષિય મહિલા અને ગાંધીધામના 24 વર્ષિય યુવકનો સમાવેશ થાય છે. તમામ છ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. બીજી તરફ, જિલ્લા આરોગ્ય વિભાગે આજે માંડવી અને માધાપરના યક્ષમંદિર ખાતે ક્વૉરન્ટાઈનમાં રહેલાં 25 લોકોનાં રેન્ડમ સેમ્પલ મેળવ્યાં છે. ગઈકાલે લેવાયેલાં તમામ સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્રના અનેક કર્મચારીઓ-જવાનોએ સામેથી કોરોના ટેસ્ટ કરાવ્યો છે.