ગાંધીધામ-આદિપુરમાં વધુ 4 બાઇકોની ઉઠાંતરી કરી ચોર ફરાર


ગાંધીધામ અને આદિપુર સંકુલમાં વધુ ચાર વાહન ચોરીની ફરીયાદ પોલીસ ચોપડે દર્જ કરવામા આવી છે. અંતરજાળ રહેતા અને વોપેક કંપનીમાં કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટીવ તરીકે ફરજ બજાવતા હરીશભાઇ ઇશ્વરનાથ રાબેતા મુજબ તેમના ભાઇની માલિકીની રૂ. 70 હજારની બાઇક ઓશિયા મોલ પાસે પાર્ક કરી કંપનીની બસમાં નોકરી પર ગયા. જ્યાં સાંજે સાડા સાત વાગ્યે પાછા ફર્યા ત્યારે બાઇક જોવા મળ્યુ ન હતું. તેમણે જાતે શોધખોળ કરી પણ ભાળ ન મળતાં આ બાઇક ચોરી થઇ હોવાની ફરિયાદ તેમણે એ-ડિવિઝન પોલીસમાં નોંધાવી.
અંજારના માથક રહેતા ટ્રાન્સપોર્ટર ભાવેશભાઇ પાંચાભાઇ કરશનભાઇ ડાંગરે ગાંધીધામના નિલકંઠ ચેમ્બર્સમાં આવેલી પોતાની ઓફિસ બહાર સવારે 10 વાગ્યે પાર્ક કરેલી રૂ. 25 હજારની કિંમતની બાઇક ચોરી થઇ હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે દર્જ કરાવી હતી. શહેરના એસડીએક્સ-77 સાઉથમાં રહેતા અંશ બેકરીના માલિક નરેશભાઇ દોલતરામ ખુશાલાણીએ રાત્રે એક વાગ્યે પોતાની રૂ. 20 હજારની કિંમતની બાઇક ઘર પાસે પાર્ક કરી હતી અને બીજા દિવસે સવારે 6 વાગ્યે બહાર આવીને જોતા તે બાઇક જોવા ન મળી હતી. ખુદ તપાસ કરી પણ ભાળ મળી નહિ. તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી. તો અંજારના મેઘપર કુંભારડી રહેતા હિરેનગીરી હંસાગીરી ગોસ્વામીએ આદિપુર પોલીસ મથકમાં દર્જ કરાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમની માલીકીની રૂ. 10 હજારની કિંમતની બાઇક તેમના નાના ભાઇએ સવારે 5 વાગ્યે આદિપુર બસ સ્ટેશન પાછળના ભાગે પાર્ક કરી હતી. તે બાઇક બપોરે બે વાગ્યા સુધીમાં ચોરી થઇ હોવાનું તેમણે જણાવ્યું હતું.