પાટણનાં ચાચરિયામાં પરિણીત મહિલાએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

પાટણ શહેરનાં ચાચરીયા વિસ્તારમાં રહેતી મોદી સમાજની મહિલાએ પોતાનાં ઘરમાં ઉપરનાં માળે દુપટ્ટાથી ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે જઇને મૃતકની લાશને નીચે ઉતારી તેનું પંચનામું અને અન્ય કાર્યવાહી કરીને તેને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલાવી હતી.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર પાટણનાં ચાચરીયા વિસ્તારમાં આવેલી વખત કિશોરની ખડકીમાં રહેતા અને પાટણમાં શેરબજારની ઓફિસમાં નોકરી કરતાં હિરેનભાઇ નરેશભાઇ મોદીની પત્ની પૂજાબેન (ઉ.વ.27) એ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતાં તેનાં પરિવારજનોમાં ભારે શોક પ્રસર્યો હતો. આ ઘટના બનતાં આસપાસનાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતાં.

આ મૃતકનાં પરિવારે પોલીસને જાણ કરતાં ડીવીઝન પોલીસ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. મતૃકનાં પરિવારજનો અને પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આપઘાત કરનારી મહિલા પૂજાબેન મૂળ ઉત્તરપ્રદેશનાં અલ્હાબાદનાં હતા. તેમનાં અને પાટણનાં હિરેનભાઇ મોદીનાં લગ્ન 2012માં થયા હતા. તેમને 8 વર્ષનો પુત્ર છે.

આ ઘટનાની તપાસ કરનારા પી.એસ.આઇ. વી.જે. પરમારે જણાવ્યું કે, મૃતકે મૃત્યુ પહેલાં લખેલી એક ચિઠ્ઠી ઘટના સ્થળ પરથી મળી હતી, જેમાં તેણે પોતાનાં મૃત્યુ માટે કોઇને જવાબદાર નથી ઠેરવ્યા અને પોતે જાતે જ આપઘાત કર્યું છે તે પ્રકારનું લખાણ લખેલું છે. મળતી માહિતી અનુસાર મૃતકની લાશનું પીએમ કરવામાં આવ્યું હતું.