ભરૂચમાં પૂર ઝડપે આવી રહેલા રીક્ષા ચાલકે બાળકને અડફેટે લેતા ઇજાગ્રસ્ત


ભરૂચના નર્મદા મૈયા બ્રીજ નીચે શીતલ સર્કલ જવાના માર્ગ ઉપર રીક્ષા ચાલકે પાંચ વર્ષીય બાળકને અડફેટે લઈ લીધો હતો. જેથી બાળકના માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી.
મૂળ દાહોદના અને હાલ ભરૂચના નર્મદા બ્રીજ નીચે શીતલ સર્કલ રીક્ષા સ્ટેન્ડ નજીક રહેતા શાંતાબેન શંભુ રાઠોડ તેઓના ચાર સંતાનો સાથે મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જેઓ ગઈકાલે બપોરના સમયમાં ચા લેવા માટે પોતાના પાંચ વર્ષીય દીકરા જીગ્નેશ રાઠોડ સાથે શીતલ સર્કલ મધ્યે જતાં હતા ત્યારે પાછળથી પૂર ઝડપે ધસી આવેલી રીક્ષા નંબર(GJ 16 W 6503) ના ચાલકે બાળકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં પાંચ વર્ષીય બાળકને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોચતા તે બેહોશ થઇ ગયો હતો. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી ભરૂચની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. અકસ્માત અંગે સી ડીવીઝન પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.