રાધનપુરમાં પ્રાંત અને મામલતદાર કચેરીમાં ગાયો બાંધી ગૌ ભક્તોએ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું


રાધનપુર મધ્યે પાંજરાપોળ અને ગૌ શાળાનાં ગૌ ભક્તો દ્વારા સરકાર સામે સહાય મામલે રોષે ભરાઈ વહેલી સવારે પ્રાંત અને મામલતદાર કચેરી કેમ્પસમાં ગાયોને બાંધી, ઘાસચારો નાખી, તંત્રના હવાલે કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પાટણ બનાસકાંઠા સહિત રાજ્યભરમાં ગૌ શાળાઓને પાંજરાપોળમાં ગૌ માતાના પાલન-પોષણ માટે સરકાર તરફથી જાહેર કરેલી 500 કરોડની સહાય સરકાર ન ચૂકવતા પશુપાલકો રોષે ભરાયા છે. 23 એપ્રિલ શુક્રવાર સુધીની સરકારને સહાય ચૂકવવા મુદ્દત આપવામાં આવી હતી.
સરકાર દ્વારા ગૌ સંચાલકોની માગણી અંગે કોઈ જ પ્રક્રિયા ન આપતા છેવટે પાંજરાપોળનાં સંચાલકો રોષે ભરાઈને ગાય સરકારી કચેરીઓમાં બાંધવાની જાહેરાતના અનુસંધાને શુક્રવારે વહેલી સવારે પાટણના રાધનપુર મધ્યે સુરભી ગૌ શાળા ઉપરાંત પાંજરાપોળની ગાયો ગૌ ભક્તો દ્વારા રાધનપુર પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીના કેમ્પસમાં બાંધી દેવામાં આવી હતી. અને સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું.