ભુજના આશાપુરા નગરમાં ગટર-રસ્તાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા: રહેવાસીઓએ નગરપાલિકામાં કરી ઉગ્ર રજૂઆત

ભુજ શહેરના વોર્ડ નંબર એકમાં આવતા આશાપુરા નગરમાં ગટર તેમજ રસ્તાની સમસ્યાથી લોકો ત્રસ્ત થયા છે. બે દાયકા જૂની સમસ્યા બાબતે વારંવારની રજુઆત છતાં કોઈજ નિકાલ આવતો નથી. તેથી રોષે ભરાયેલા સ્થાનિક રહેવાસીઓએ આજે સુધરાઈ નગરપાલિકામાં પહોંચી જવાબદારોને ઉગ્ર રજુઆત કરી હતી. જેના પગલે તંત્ર દ્વારા ટૂંક સમયમાં સમસ્યાનું સમાધાન લાવવાની ખાતરી આપવામાં આવી હતી. લોકોએ ચીમકી ઉચ્ચારી હતી કે, તાકીદે પ્રશ્નનો નિકાલ નહિ લેવાય તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરાશે. મૂળભૂત સુવિધાના અભાવથી બાળકો અને મહિલાઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યાનું લોકોએ જણાવ્યું હતું.
ભુજના આશાપુરા નગર વિસ્તારમાં રહેતા લોકોએ આજે બુધવારે નગરપાલિકામાં એકઠા થઈ પાલિકા અધ્યક્ષ ઘનશ્યામ ઠક્કરને ગટર અને રસ્તાની સમસ્યાના ઉકેલ લાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિકના દિપક રાજગોર અને ભાવનાબેન ગોરે જણાવ્યું હતું કે મોટા ભાગના લોકો અહીં શ્રમ કાર્ય સાથે જોડાયેલા છે. ખાસ કરીને બાળકો અને મહિલાઓને રસ્તાના અભાવથી રેલવે બ્રિજ પરથી જીવના જોખમે અવરજવર કરવું પડે છે. તો ગટર ઓવરફ્લો થવાની કાયમી સમસ્યાથી ખૂબ જ હાલાકી વેઠવી પડે છે. તંત્ર દ્વારા તાકીદે પ્રશ્નનો નિકાલ કરાય તેવી માંગ છે અન્યથા આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ફરજ પડશે એવી ચીમકી પણ તેમણે આપી હતી. ત્યારે જોવાનું રહ્યું કે લોકોના પ્રશ્નોને ભાજપ સાસિત સુધારાઈ શહેરના લોકોની સમસ્યાને કેટલી ગંભીરતાથી લે છે.