મુજપુર બ્રિજ જર્જરીત હાલતમાં હોવાથી મોટા વાહનોને બંધ કરવા માટે રજૂઆત કરાઇ

મોરબીમાં બનેલી પુલ તૂટવાની દુર્ઘટનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે આવી ઘટના પાદરાના મુજપુર બ્રિજ પર ન બને તેથી ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી મુજપુર બ્રિજને ભારે વાહનો માટે બંધ કરી તાત્કાલિક તેને નવો બનાવવાની મંજૂરી આપી કાર્યવાહી શરૂ કરવા માટે માગ કરી છે.

પાદરામાંથી પસાર થતી મહીસાગર નદી પર આવેલો અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મુજપુર બ્રિજ ખૂબ જ જર્જરીત છે. જેને નવો બનાવવાની માગ સાથે પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારે રાજ્ય સરકારને અનેકવખત રજૂઆત કરી છે. ત્યારે આ વખતે મોરબીમાં બનેલી દુર્ઘટનાને પગલે જશપાલસિંહ પઢિયારે વધુ ગંભીરતાથી રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે મોરબીમાં બનેલી પુલ તૂટવાની દુર્ઘટના એ હાહાકાર મચાવ્યો છે. ત્યારે આવા જર્જરીત પૂલોને તાત્કાલિક રાજ્ય સરકાર ધ્યાને લઈને નવા બનાવવામાં આવે.