તેનતલાવ ગામમાં 3 બંધ મકાનના તાળા તોળી ચોરે ચોરીને અંજામ આપ્યો

ડભોઇ તાલુકાના ચાંદોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના તેનતલાવ ગામમાં 3 બંધ મકાનના તાળા તોડી તસ્કરીના અંજામને સફળ રીતે પાર પાડી ફરાર થઈ ગયા હતાં. ચાંદોદ પાસેના તેનતલાવ ગામના પુનિત ફળિયામાં આવેલા 3 બંધ મકાનોને ગતરાત્રિએ ચોરે નિશાન બનાવ્યા હતા.

ચોરે ત્રણ પૈકી બે મકાનોના મુખ્ય દરવાજાના નકુચા તોડી મકાનમાં રહેલી તિજોરીમાં રાખેલા સોના ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત 1,63,000ના મુદ્દામાલની ચોરી કરી હતી. મકાન માલિકોને સવારે ચોરી થયાનું માલુમ પડતા બહારગામથી દોડી આવી મકાનમાં ચકાસતા કીમતી દાગીના સહિત રોકડ રકમ ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતુ.

જેની જાણ પોલીસને કરવામાં આવતા ચાંદોદ પોલીસે મકાન માલિક હિતેન પટેલ અને અક્ષય પટેલની ફરિયાદ આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વિસ્તારમાં આવેલા સીસીટીવી ફૂટેજ તપાસતા 3 અજાણ્યા શખ્સો બાઈક ઉપર આવી ચોરીને સફળ અંજામ આપી ફરાર થઈ ગયાનું જણાઈ આવ્યું હતું. સીસીટીવી ફૂટેજ આધારે ચાંદોદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી આર ભાદરકાએ તપાસનો દોર ચલાવ્યો છે. ગ્રામજનો રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવાય તેવી માંગણી કરી છે.