ગોંડલની સંગ્રામસિંહજી શાળામાં અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખી છાત્ર પર વિદ્યાર્થીએ ખૂની હુમલો કર્યો

ગોંડલના કોલેજ ચોકમાં આવેલી સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વીરપુરના વિદ્યાર્થી પર તેની સાથે જ અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પૂર્વે થયેલી માથાકુટનો ખાર રાખી છરીનો ઘા ઝીંકી દેતા વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોચતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર વીરપુર ખારાવાડ પ્લોટમાં રહેતા ઋષિરાજ મનિષ કાપડી ઉ.વ.17 નામના વિદ્યાર્થી બપોરે ગોંડલ કોલેજ ચોકમાં આવેલ સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં મિત્ર સાથે બેઠો હતો ત્યારે તેની સાથે જ અભ્યાસ કરતા ધ્રુવ બાવળિયાએ ઓચિંતા ધસી આવી ઋષિરાજના પડખામાં છરીનો એક ઘા ઝીંકી દીધો હતો.

પોલીસની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે ઈજાગ્રસ્ત ઋષિરાજ અને ધ્રુવ બાવળિયા સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં ધો. 11માં અભ્યાસ કરે છે. ગત તા. 10-10ના છ માસિક પરિક્ષા સમયે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. જેનો મનમાં રાખીને દિવાળીનો વેકેશન ખુલતાની સાથે જ વીરપુરના છાત્ર પર આરોપી વિદ્યાર્થીએ હુમલો કર્યો હોવાનું જણાવ્યુ છે.