જામનગરમાં ગૃહક્લેશમાં પિતા પર પુત્રએ છરી વડે હુમલો કરતા હોસ્પિટલ ખસેડાયા

જામનગરના દિગ્જામ સર્કલ પાસે ખેતીવાડી કેન્દ્ર પાસે શ્રમિક પિતા પર તેના જ પુત્રએ છરી વડે  હુમલો કરી દેવાનો બનાવ બન્યો છે. જે હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. સંભવત: ગૃહકંકાશમાં ઉશ્કેરાઈ જઈ પુત્રએ પિતાને છરીનો ઘા ઝીંકી દીધાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ મધ્યે દોડી ગયો.

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ શહેરના દિગ્જામ સર્કલ પાસે ખેતીવાડી કેન્દ્ર પાસેના વિસ્તારમાં બુધવારે સાંજે ઓમપ્રકાશભાઈ (ઉ.વ.40) નામના શ્રમિક યુવાન પર તેના જ પુત્ર રવિએ છરી વડે હુમલો કરી દેવાના બનાવના પગલે દોડધામ મચી જવા પામી હતી.

આ ઘાતક હુમલામાં ઘવાયેલા શ્રમિકને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલ મધ્યે ખસેડાયા છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું છે. આ ઘટનાની જાણ થતા ગંભીર ઇજાગ્રસ્તના પરિવારજનો પણ તાત્કાલિક હોસ્પિટલ મધ્યે દોડી ગયા હતા. બીજી તરફ પિતા પર પુત્રના જ ઘાતક હુમલાની ઘટનાની જાણ થતા સિટી-સી પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે હોસ્પિટલ દોડી ગઈ હતી.

આ અંગે પોલીસે નિવેદનની તજવીજ સાથે વિધિવત ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી. સંભવત: પારિવારિક કંકાશના લીધે ઉશ્કેરાઇ ગયેલા પુત્રએ તેના જ પિતા પર આ હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે.