ગાધડકા ગામમાં પૂર્વે થયેલી તકરારનું મનદુખ રાખી યુવકની છાતીમાં છરીનો ઘા ઝીંકી હત્યા નિપજાવી

વરકુંડલા તાલુકાના ગાધકડા ગામમાં ગઇરાત્રે કોળીવાડના નાકા નજીક પૂર્વે થયેલી માથાકુટનુ મનદુખ રાખી ત્રણ ઇસમોએ 28 વર્ષીય યુવાનને છાતીમા છરીનો ઘા મારી ઘાતકી હત્યા કરી નાખવાની ઘટના બની છે. તેમજ અન્ય એક યુવકને પણ ઇજા પહોંચાડાઇ હતી. યુવકની છરીનો ઘા ઝીંકી હત્યા કરાયાની આ ઘટના ગઇરાત્રે સાડા આઠેક વાગ્યાના સમયગાળામાં સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે કોળીવાડના નાકા પાસે બની હતી.
જયાં રવિ નાથાભાઇ વાઘેલા (ઉ.વ.28) નામના યુવકની તે જ ગામના સુનીલ ચંદુભાઇ ગોહિલ, ચંદુ જાદવભાઇ ગોહિલ તથા હસમુખ પરશોતમભાઇ ગોહિલ નામના ઇસમોએ ઘાતકી હત્યા કરી હતી. મૃતક રવિ નાથાભાઇ ગઇકાલે રાત્રે તેના મિત્ર રવિ જીવનભાઇ વાઘેલા અને કેવલ બાબુભાઇ ચૌહાણ સાથે મોટર સાયકલ લઇને કોળીવાડના નાકા પાસેથી પસાર થતા હતા ત્યારે ત્રણેય ઇસમોએ તેનુ બાઇક રોકાવ્યું હતુ.
આ ત્રણેય ઇસમોએ પૂર્વે થયેલી જુની તકરારનુ મનદુખ રાખી ગાળો આપી હતી અને મૃતક રવિને તને બહુ પાવર છે, તુ જયાં હોય ત્યાં વચ્ચે પડે છે, આજે તને પતાવી દેવો છે તેમ કહ્યું હતુ અને સુનીલે પોતાના પેન્ટના નેફામાથી છરી કાઢી હતી. અન્ય ઇસમોએ રવિને મોટર સાયકલ પરથી નીચે ઉતાર્યો હતો અને પકડી રાખ્યો હતો. જયારે સુનીલે તેને છાતીના ભાગમાં છરીનો એક ઘા ઝીંકી દીધો હતો.
જેથી તે લોહીલુહાણ થઇ ત્યાં જ ઢળી પડયો હતો. ત્યારપછી પણ તેને માર મરાયો હતો. બીજી બાજુ ત્રણેય ઇસમોએ તેની સાથે રહેલા રવિ અને કેવલને પણ ઝપાઝપી કરી છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. મૃતક યુવકની લાશને પીએમ અર્થે દવાખાને ખસેડવામા આવી હતી. રવિ જીવનભાઇ વાઘેલાએ આ અંગે ત્રણેય ઇસમો સામે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ દાખલ કરાવી છે. પીએસઆઇ જી.એમ.જાડેજા બનાવની તપાસ કરી રહ્યા છે.