જામનગરમાં પત્ની સાથે ઘરકંકાશ થતા યુવાનને મનમાં લાગી આવતા લહેર તળાવમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

જામનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવાન અને તેની પત્ની વચ્ચે વિવાદ થતા યુવાને જીવનનો અંત આણી દીધો છે. ઘરકામ અને મિત્રો સાથે ફરવા અંગે પત્ની સાથે ઘરકંકાશ થતા યુવાનને મનમાં લાગી આવ્યું અને તેણે લહેર તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગર પાસે ખંભાળિયા ધોરીમાર્ગ પર નાઘેડી ગામ પાસે આવેલા લહેર તળાવમાંથી રામેશ્વર નગરમાં નિર્મલ નગર વિસ્તારમાં હરસિદ્ધિ પ્રવીણ સ્ટોરની બાજુમાં રહેતા ભાવિન પરેશભાઈ ગૌતમી નામના 22 વર્ષે યુવાનોનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે મૃતકનો કબજો મેળવી તેના પરિવારજનોને જાણ કરી હતી. આ ઘટના અંગે મૃતકના પિતા પરેશભાઈ ગૌતમે પંચકોસી બી ડિવિઝન પોલીસ મથકે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.
મૃતક પુત્ર ભાવીને સાતેક મહિના અગાઉ પ્રેમ લગ્ન કર્યા અને તે દંપતિ પરિવારથી અલગ રહેતું હતું. આ સાત માસના ગાળા દરમિયાન ઘરકામ અંગે તથા તેના મિત્રો સાથે ફરવા જવા અંગે પત્ની સાથે ઝઘડા થતા હતા. જેને લઈને મનોમન લાગી આવતા ભાવીને પોતાના ઘરેથી એકલા નીકળી, લહેર તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના અંગે પંચકોષી બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.