પિંડારડા પાટિયા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો: બાઇક સવાર મહિલાનું મોત

પીંડારડાથી મહુડી તરફ જવા માટે રોડ ક્રોસ કરતા બાઇકને મહુડી તરફથી ગાંધીનગર બાજુ જતી અજાણી કારના ચાલકે બાઇકને ઠોકર મારતા સવાર લોકો રોડ ઉપર પટકાઈ ગયા હતા. આ ઘટનામાં રોડ ઉપર પટકાયેલી મહિલાનુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતુ. જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા હતા. આ અંગે કાર ચાલક સામે ગુનો નોંધાવતા પેથાપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરેશભાઇ માનસિંગભાઇ ઠાકોર (રહે, પીંડારડા, કાચા છાપરામા)એ ફરિયાદ નોંધાવી હતી કે, પંચરની દુકાન ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવે છે.

પીંડારડા ગામેથી બાલવા મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા માટે બાઇક લઇને નિકળ્યો હતો. બાઇક ઉપર તેની પત્ની ચંદ્રિકાબેન અને તેનો ભાઇ અજય બાઇક નંબર જીજે 18 ક્યુ 2264 લઇ દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. જ્યારે બાઇક લઇ પીંડારડાથી મહુડી તરફ જવા માટે રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન મહુડી તરફથી પુરપાટે આવી રહેલી અજાણી કારના ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારી હતી. જેમા બાઇક ઉપર સવાર ત્રણેય લોકો રોડ ઉપર પટકાઈ ગયા હતા. અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હતો.

આ બનાવથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત પતિ, પત્ની અને ભાઇને સારવાર માટે તાત્કાલિક ગાંધીનગર સિવિલમા લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ચંદ્રિકાબેનનું મોત થયુ હતુ. જ્યારે અજયને શરીરમા ત્રણ જેટલા ફ્રેક્ચર થયા હતા. આ ઘટનાને લઇ પતિ સુરેશભાઇએ તેના બાઇકને ઠોકર મારનાર કાર ચાલક નંબર જીજે 01 એચપી 1092ના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા પેથાપુર પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી હતી.