નડિયાદના ટુંડેલ નજીક અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા અકસ્માત સર્જાયો: ચાલકનું મોત

નડિયાદ પાસેના ટુંડેલ ગામમાં કોઈ અજાણ્યા વાહને અહીયાથી પસાર થઈ રહેલા મોટરસાયકલ ચાલકને જોરદાર ઠોકર મારી હતી. જેથી ચાલકનું સ્થળ પર જ મોત નીપજયું છે. નોકરીએથી પાછા આવતા સમયે અકસ્માત સર્જાયો છે. આ બનાવ સંદર્ભે વસો પોલીસે ગુનો દાખલ કર્યો છે.
નડિયાદ તાલુકાના કેરીયાવી ગામમાં વાઘેલાનગરમાં રહેતા 51 વર્ષિય અરવિંદભાઈ છોટાભાઈ વાઘેલાના નાનો દિકરો અનીલ પીજ ચોકડી પાસે સ્ટીલની ફેક્ટરીમાં નોકરી કરે છે. સાંજના સુમારે અનીલ મોટરસાયકલ નંબર (GJ 07 EG 0353) લઈને નોકરીએથી પાછા પોતાના ઘરે આવતા હતા. આ સમય દરમિયાન ટુંડેલ ગામની સીમમાં ફેક્ટરીની સામે કોઈ અજાણ્યા વાહને અનીલના મોટરસાયકલને ઠોકર મારી આ વાહન ચાલક પલાયન થઈ ગયો હતો.સમગ્ર મામલે મરણજનારના પિતા અરવિંદભાઈ વાઘેલાની ફરિયાદના આધારે વસો પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.