ગીરગઢડામાં અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જતાયુવકનું મોત

copy image
ઉનાના મોટા સમઢીયાળા ગામમાં રહેતો યુવાન ગીરગઢડા તરફથી પોતાના બાઈક ઉપર પાછા ઘરે આવી રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલક યુવકનું કમકમાટી ભર્યુ મોત થયું હતુ.
મળતી માહિતી અનુસાર મોટા સમઢીયાળા ગામમાં રહેતા ધનજી જાદવ ઝાલાવાડીયા, કે જે ગીરગઢડા મધ્યે કૌટુંબિક લગ્ન પ્રસંગેથી પરત પોતાના ઘરે બાઈક પર આવતા હતા ત્યારે ઈટવાયા-ખીલાવડ રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઇકને પાછળથી ધડાકાભેર ઠોકરે લેતા બાઈક ફંગોળાઈ ગઈ હતી. જ્યાં બાઇક સવાર ધનજી રસ્તાની સાઈડમાં પટકાતા શરીરના ભાગમાં ગંભીર ઇજા થતાં લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. અજાણ્યો વાહન ચાલક અક્સ્માત કરી ભાગી ગયો હતો. આજુબાજુના વાડી વિસ્તારમાં રહેતા લોકોને અકસ્માતનો અવાજ આવતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. 108ને જાણ કરતા યુવકને એમ્બ્યુલન્સ મારફતે ઉના સરકારી હોસ્પિટલ મધ્યે ખસેડવામાં આવ્યો હતો. પરંતું સારવાર મળે તે પૂર્વે યુવકનું મૃત્યુ થયું હતુ.
આ અંગે મૃતકનાં ભાઇએ ગીરગઢડા પોલીસમાં અજાણ્યાં વાહન ચાલક વિરુદ્ધ ફરીયાદ દાખલ કરાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.